કલકત્તા,તા.27.માર્ચ.2022 રવિવાર : પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં 10 લોકોને જીવતા સળગાવી દેવાની હાહાકારી ઘટના બાદ હવે સીબીઆઈ તેની તપાસ કરી રહી છે.
દરમિયાન સીબીઆઈને અહીંના એક ફૂટબોલ મેદાનમાંથી મોટા પાયે દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા છે.એ પછી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
સીબીઆઈ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવીને આ બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.
બીરભૂમ હિંસાના મામલામાં અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.જેમાંથી મોટાભાગના ટીએમસીના કાર્યકરો છે.કોલકાતા હાઈકોર્ટે આ હિંસાની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા બાદ દબાણમાં આવી ગયેલી મમતા સરકારની પોલીસે તાબડતોબ આ મામલામાં ધરપકડોનો દોર શરુ કર્યો હતો.
ટીએમસી 2011માં રાજ્યમાં સત્તા પર આવી તે પછી આટલા મોટા પાયે પહેલી વખત ટીએમસીના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે,ટીએમસીના એક નેતાની હત્યા બાદ બીરભૂમમાં હિંસા ભડકી હતી અને ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા.આ હિંસામાં 10 લોકોના મોત થયા હતા.