મુંબઈ,તા 06 એપ્રિલ 2022,બુધવાર
મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના શરૂઆતી તબક્કાના ગૃહમંત્રી અનિલ દેશમુખની સીબીઆઈએ સત્તાવાર ધરપકડ કરી છે.તપાસ એજન્સીએ ભ્રષ્ટાચાર કેસમાં તેમની ધરપકડ કરી છે.મહારાષ્ટ્રના કાતોલ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય દેશમુખની બુધવારે CBIએ ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી છે.અગાઉ એજન્સીએ દેશમુખના પર્સનલ આસિસ્ટન્સ કુંદન શિંદે અને સચિવ સંજીવ પલાંડેની કસ્ટડી લીધી હતી અને આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટર સચિન વાઝેને બરતરફ કર્યા હતા.આ અગાઉ બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખની અરજી સાંભળવાનો ઈન્કાર કરી દીધો હતો.દેશમુખે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના આદેશને પડકાર્યો હતો જેણે કથિત ભ્રષ્ટાચારના કેસના સંબંધમાં તેમની કસ્ટડીની સીબીઆઈની અરજીને મંજૂરી આપી હતી.
બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં બે આરોપીઓની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી છે.આ બે લોકોના ફોન IPS અધિકારી રશ્મિ શુક્લા દ્વારા ટેપ કરવામાં આવ્યા હતા,જેઓ તેમની ખુદની ફરિયાદ અનુસાર ગેરકાયદેસર ટ્રાન્સફોર્મર પોસ્ટિંગ કેસનો ભાગ હતા. આ અગાઉ મુંબઈની સેશન્સ કોર્ટે પણ આગોતરા જામીન અરજીઓ ફગાવી દીધી હતી.
કસ્ટડીથી ભાગી રહ્યાં છે દેશમુખ : CBIનો આક્ષેપ
તપાસ એજન્સીએ સોમવારે 4 એપ્રિલના રોજ વિશેષ કોર્ટમાં સુનાવણી દરમિયાન આ દાવો કર્યો હતો કે અનિલ દેશમુખ જાણીજોઈને એજન્સીની કસ્ટડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેથી તેમણે પોતાને સરકારી જેજે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.જોકે ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ અનિલ દેશમુખને મંગળવારે રજા આપવામાં આવી હતી, એમ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું અને આજે તેમની સત્તાવાર ધરપકડના અહેવાલ મળી રહ્યાં છે.એનસીપી નેતાની નવેમ્બર, 2021માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.મુંબઈની એક કોર્ટે ગયા અઠવાડિયે સીબીઆઈને ભ્રષ્ટાચારના એક અલગ કેસમાં તેની કસ્ટડી લેવાની મંજૂરી આપી હતી.
શું છે સમગ્ર મામલો ?
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે તત્કાલીન ગૃહમંત્રી દેશમુખે પોલીસ અધિકારીઓને શહેરમાં રેસ્ટોરાં અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો.દેશમુખે આરોપોને નકારી કાઢ્યા હતા,પરંતુ ગત વર્ષે એપ્રિલમાં બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને તેમની સામે કેસ નોંધવાનો નિર્દેશ આપ્યા બાદ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.


