– જે પાર્ટી ખતમ થઈ ગઈ છે તેની શું વાત કરવી : આદિત્ય ઠાકરે
મુંબઇ : મસ્જિદ પરના લાઉડ સ્પિકરોને લીધે થતા ઘોંઘાટ વિરુધ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે.એટલું જ નહીં રાજ ઠાકરેએ પિત્રાઈની પાર્ટીને ઉશ્કેરવાના પ્રયાસરૂપે આજે રામનવમી નિમિત્તે દાદરના શિવસેના ભવન સામે ટેક્સીમાં લાઉડ સ્પિકરના ભૂંગળા લગાડી ઉંચા અવાજે હનુમાનચાલીસાના પાઠનું પ્રસારણ કર્યું હતું.આ અંગે પોલીસે મનસેના કેટલાક કાર્યકરોને તાબામાં લીધા હતા.મનસેના એક નેતાએ કહ્યું હતું કે હવે હિન્દુત્ત્વવાદી પાર્ટી રહી જ નથી.
ગુડીપડવા નિમિત્તે મનસેની રેલીમાં રાજ ઠાકરેએ મસ્જિદોની સામે બમણા જોરથી લાઉડ સ્પિકરમાં હનુમાન ચાલીસાનું પ્રસારણ કરવામાં આવશે એવી ચેતવણી આપી હતી અને બીજે દિવસથી તેનો અમલ પણ કરવામાં આવ્યો હતો.જોકે આજે શિવસેના ભવન સામે ભૂંગળા ગજાવવામાં આવતા આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું હતું.
આજે વરલીમાં વિન્ટેજ કાર રેલીને ફલેગ- ઓફ કરવા માટે આવેલા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને જ્યારે આ બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે મનસેનું નામ લીધા વગર ઠેકડી ઉડાડતા કહ્યું હતું કે જે પાર્ટી ખતમ થઈ ગઈ છે તેની શું વાત કરવી? બાકી અમને આમાં કોઈ સ્ટંટમાં રસ નથી.


