દાહોદ : પીએમ મોદીએ બુધવારે દાહોદમાં આદિવાસી મહાસંમેલનને સંબોધિત કર્યું હતું.સાથે જ દાહોદનાં 1259 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ તથા રૂ. 20550 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.તેમાં દાહોદમાં રેલ્વે પ્રોડક્શન યુનિટમાં 9000 હોર્સપાવરના ઇલેક્ટ્રિક એન્જિનનું ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ પણ સામેલ છે.પીએમ મોદીએ કહ્યું કે, દાહોદ હવે મેક ઈન ઈન્ડિયામાં પણ મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે.આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.પીએમ મોદીએ કહ્યું કે, મેં આદિવાસીઓનું જીવન નજીકથી જોયું છે.ઉમરગામથી અંબાજીનો આદિવાસી વિસ્તાર મારું કાર્યક્ષેત્ર હતું.અહીં મેં બહું સમય વિતાવ્યો છે.આદિવાસી ભાઈઓ બહેનોએ મને ઘણું શીખવ્યું છે.વડાપ્રધાને કહ્યું- આદિવાસી પરિવર્તન લાવે એટલે બધાએ લાવવું જ પડે. પાણીદાર લોકોની પાણી દ્વારા સેવા કરવાનો મને મોકો મળવાનો છે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે દાહોદ અને પંચમહાલના વિકાસને લગતા 22 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ્સમાં એક પે-જળ સાથે જોડાયેલી યોજના પણ સામેલ છે.બીજો દાહોદને સ્માર્ટ સિટી બનાવવા સંબંધિત પ્રોજેક્ટ છે.પાણીના આ પ્રોજેક્ટથી દાહોદના સેંકડો ગામોની માતા-બહેનોનું જીવન ખૂબ જ સરળ બનવા જઈ રહ્યું છે.પીએમ મોદીએ કહ્યું કે, દાહોદ હવે મેક ઈન ઈન્ડિયાનું પણ મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.ગુલામીના યુગમાં સ્ટીમ એન્જિન માટે વર્કશોપ હતું, હવે તે મેક ઇન ઇન્ડિયાને વેગ આપશે.દાહોદમાં 20 હજાર કરોડ રૂપિયાની ફેક્ટરી સ્થપાશે.મેક ઈન ઈન્ડિયા સાથે ભારત હવે વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક બની ગયો છે જે નવ હજાર હોર્સ પાવરના શક્તિશાળી એન્જિનોનું ઉત્પાદન કરે છે.તેમણે કહ્યું કે, આજે ભારતીય રેલવે ઝડપથી વીજળીકરણ થઈ રહી છે.તે આધુનિક બની રહી છે.માલગાડીઓ માટે અલગ રૂટ બનાવવામાં આવી રહ્યા છે.વિદેશોમાં ઈલેક્ટ્રિક એન્જિનની માંગ ઝડપથી વધી રહી છે, જેને પૂરી કરવામાં દાહોદ મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે.આ નવી ફેક્ટરીની સ્થાપનાથી હજારો લોકોને કામ મળશે.