નવી દિલ્હી : દિલ્હીના હિંસાગ્રસ્ત જહાંગીરપુરી વિસ્તારમાં તોફાનીઓની ગેરકાયદેસરની સંપત્તિ પર બુલડોઝર ફેરવીને ડેમોલિડેશન અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું.જોકે જમિયત ઉલેમા-એ-હિન્દની અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ આકરી કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો.અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે મુસ્લિમ આરોપીની સંપત્તિ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.ચીફ જસ્ટિસ એન વી રમનાની બનેલી ખંડપીઠે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.જોકે સત્તાવાળાએ એવું કારણ આગળ ધરીને બુલડોઝર ફેરવવાનું ચાલુ રાખ્યું હતું કે તેમને કોઇ સત્તાવાર માહિતી મળી નથી.તેથી સુપ્રીમ કોર્ટે એક જ દિવસમાં બીજી વખત દરમિયાનગીરી કરવી પડી હતી.સુપ્રીમ કોર્ટે બુલડોઝર પર બ્રેક મૂકતા તેના સવારના આદેશની માહિતી તાકીદે નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, કમિશનર અને દિલ્હી પોલીસ કમિશનરને આપવાની તાકીદ કરી હતી.આમ સુપ્રીમ કોર્ટની બે વખતની દરમિયાનગીરી પછી સત્તાવાળાના બુલડોઝર અટક્યા હતા.મુસ્લિમ સંસ્થા વતી સિનિયર એડવોકેટે કોર્ટમાં આવીને ફરજિયાદ કરી હતી કે સુપ્રીમ કોર્ટે યથાવત સ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હોવા છતાં સત્તાવાળાએ ડેમોલિશન કાર્યવાહી બંધ કરી નથી.નોર્થ દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જયંતીના શોભાયાત્રામાં મુસ્લિમ વિસ્તારોમાં પથ્થરમારો થયો હતો અને તેનાથી હિંસા ફાટી નીકળી હતી.
દિલ્હી કોર્પોરેશને દબાણવિરોધી કાર્યવાહીને રૂટિન ગણાવી.
હિંસાગ્રસ્ત જહાંગીરપુરીમાં ગેરકાયદે સંપત્તિ પર બુઝડોઝર ફેરવવાના મુદ્દે આકરી ટીકાનો સામનો કરી રહેલી ભાજપ શાસિત નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને આ કાર્યવાહીને રૂટિન ગણાવી હતી.આ કાર્યવાહીમાં બે કિલોમીટર લાંબા રસ્તાને દબાણમુક્ત કરવામાં આવ્યો હતો.11 એપ્રિલે પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.કોમી હિંસાના થોડા દિવસોમાં બુધવારે સવારે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મસ્જિદ નજીકની કેટલીક પ્રોપર્ટીને ધ્વંશ કરવામાં આવી હતી.સત્તાવાળાએ પોલીસની ભારે હાજરી સાથે સાત જેસીબી મશિન કામે લગાડ્યા હતા.ભાજપના રાષ્ટ્રીય સચિવ સુનિલ દેવધરે ટ્વીટ કર્યું હતું કે JCB એટલે જેહાદ ક્રશ બોર્ડ.
બુલડોઝરથી ગરીબો, લઘુમતીઓને ટાર્ગેટ કરાયા: રાહુલ.
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુલડોઝર મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.તેમણે બુધવારે આરોપ મૂક્યો હતો કે, દિલ્હી અને મધ્યપ્રદેશના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં બુલડોઝરના ઉપયોગથી ભારતના બંધારણીય મૂલ્યોનો ખાતમો કરાયો છે અને ગરીબો, લઘુમતીઓને લક્ષ્યાંક બનાવાયા છે.રાહુલે વડાપ્રધાન મોદીને ‘નફરતના બુલડોઝર્સ’ને બંધ કરવા અને વીજ પ્લાન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી.રાહુલે જણાવ્યું હતું કે, દેશમાં કોલસાની તંગીને કારણે વીજ પ્લાન્ટ્સ બંધ થઈ રહ્યા છે.રાહુલે ટિ્વટર પર જણાવ્યું હતું કે, “ભારતના બંધારણીય મૂલ્યોનો નાશ થઈ રહ્યો છે.રાજ્યોને ગરીબો અને લઘુમતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે.ભાજપે તેમના હૃદયમાં રહેલી નફરત પર બુલડોઝર ફેરવવું જોઇએ.” તેમણે ટિ્વટર પર એક તરફ બુલડોઝર અને બીજી તરફ બંધારણનું ચિત્ર મૂક્યું હતું.
ભાજપ, શાહના મકાન પર બુલડોઝર ફેરવો: આપ.
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ દેશમાંથી કોમી હુલ્લડોનો અંત લાવવા ભાજપના હેડક્વાર્ટર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રહેઠાણ પર બુલડોઝર ફેરવવા જણાવ્યું છે.બુધવારે દિલ્હીના જહાંગીરપુરીમાં ઘણી ઇમારતોને ધ્વસ્ત કરવા બદલ આપે ભાજપની ઝાટકણી કાઢી હતી.કેજરીવાલની પાર્ટીએ આરોપ મૂક્યો હતો કે, ગયા સપ્તાહે હનુમાન જયંતિની શોભાયાત્રા વખતે ભાજપે બે જહાંગીરપુરીમાં બે સમુદાય વચ્ચે અથડામણની યોજના તૈયાર કરી હતી.આપે દાવો કર્યો હતો કે, રામ નવમી વખતે પણ દેશના વિવિધ ભાગોમાં હિંસાના બનાવો માટે ભાજપ જવાબદાર છે.આપે આરોપ મૂક્યો હતો કે, ભાજપે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને દેશના વિવિધ ભાગોમાં વસાવવાના એક માત્ર હેતુ સાથે કોમી હિંસા અને તોફાનોની યોજના ઘડી હતી.

