મુંબઈ : પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આગામી તા.૧૫મી જુને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષી એકતા સાધવા ભાજપ સિવાયના ૨૨ રાજકીય પક્ષોના નેતાઓની મીટિંગ બોલાવી છે.પરંતુ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં ભાગ નહીં લે.અગાઉથી નક્કી થયા પ્રમાણે ઉદ્ધવ તે દિવસે અયોધ્યાની મુલાકાતે હોવાથી મમતાએ બોલાવેલી બેઠકમાં હાજરી નહીં આપે.નવી દિલ્હીમાં તા.૧૫મીએ કન્સ્ટિટયૂશન ક્લબમાં બપોરે ત્રણ વાગ્યે તમામ મહત્વના વિપક્ષી નેતાઓની બેઠક મળવાની છે.ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો હોવાથી તે સંદર્ભમાં વિપક્ષી દળો વચ્ચે કોઈ ઉમેદવાર ઊભા રાખવા અંગે ગતિવિધિઓ ચાલી રહી છે.આ સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મમતા બેનરજી ઉપરાંત મહારાષ્ટ્રના નેતા અને એનસીપીના અધ્યક્ષ શરદ પવારનો પણ સંપર્ક કર્યો છે.આ બેઠકમાં ભાગ લેવા માટે મમતાએ ઉદ્ધવને પણ આમંત્રણ મોકલાવ્યું છે.
જોકે,શિવસેનાના રાજ્યસભામાં ફરીથી ચૂંટાઈ આવેલા નેતા અને પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું કે મમતા બેનરજીએ મોકલાવેલું આમંત્રણ અમને મળ્યું છે.પરંતુ,ઉદ્ધવ ઠાકરે માટે તે દિવસે મીટિંગમાં ભાગ લેવાનું શક્ય નથી.તે દિવસે ઉદ્ધવ અયોધ્યાની પૂર્વનિર્ધારિત મુલાકાતે હશે.આથી,તેમના સ્થાને શિવસેના અન્ય કોઈ સિનિયર નેતાને મીટિંગમાં ભાગ લેવા મોકલશે.ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં આઘાડી તેના ચોથા ઉમેદવારને જીતાડવામાં નિષ્ફળ ગઈ હતી.હવે આઘાડીની રાજકીય એકતાની નવી કસોટી વિધાન પરિષદની આગામી ચૂંટણીમાં થવાની છે.તે પછી રાજ્યસભાની ચૂંટણીમાં સૌને સાથે રાખવાનો પડકાર સર્જાશે.જોકે,વિપક્ષી દળો કોઈ સંયુક્ત ઉમેદવાર ઉભા રાખવાનું નક્કી કરે છે કે કેમ તેના પર ઘણો આધાર છે.


