અમદાવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ના સમન્સના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા સોમવારે સવારે GMDC ગ્રાઉન્ડ ખાતે ધરણાં યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો.જોકે,કોંગી નેતાઓએ કાર્યકરો સાથે EDની ઓફિસ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમને અટકાવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.પોલીસે કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી હતી.કોંગ્રેસના આગેવાનો,નેતાઓ અને કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પોકારીને ધરપકડ વહોરી હતી.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીઠ ઠાકોરે ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે,આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને માત્ર ૭૦ બેઠક મળશે તેવા આંતરિક સર્વેથી ગભરાયેલો,બઘવાયેલો ભાજપ કોંગ્રેસના નેતાઓ ઉપર પોલીસ બળનો દૂરૂપયોગ કરીને ડરનો માહોલ ઉભો કરી રહ્યો છે,પરંતુ કોંગ્રેસ મજબૂતાઈથી જનતાનો અવાજ ઉઠાવતી રહેશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે,ભાજપ સરકાર રાજ્યમાં ખેડૂતો,બેરોજગારો,મહિલાઓ અને કર્મચારીઓ પોતાના હક-અધિકાર માટે આંદોલન ન કરે,બહાર ન આવે તે માટે વારંવાર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સત્યથી મોદી સરકાર ડરી ગઈ છે.સત્યને દબાવી-ઝુકાવી શકાતું નથી.ભાજપની કિન્નાખોરીની રાજનીતિથી લોકતંત્ર સામે ખતરો ઉભો થયો છે.રાહુલ ગાંધી સામાન્ય,મધ્યમ વર્ગ,શોષિત-વંચિત,ગરીબો,ખેડૂતો,દલિત સહિત સમાજના તમામ લોકોનો અવાજ મજબૂતાઈથી ઉઠાવી રહ્યાં છે.કોંગ્રેસનો કાર્યકર લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે.કોંગ્રેસના આગેવાન-નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપ સરકારના હથકંડાઓથી કોંગ્રેસ પક્ષ ડરશે-દબાશે કે ઝૂકશે નહીં.વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે,નેશનલ હેરાલ્ડના નામે મોદી સરકાર કોંગ્રેસ નેતૃત્વ પર ખોટા કેસ કરવાની મોટી ભૂલ કરી છે.નેશનલ હેરાલ્ડ સ્વાતંત્ર સેનાનીઓનું અવાજ બન્યું હતું.


