અમદાવાદ : નૈઋત્ય ચોમાસું સતત આગળ વધી રહ્યું છે.સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં નૈઋત્ય ચોમાસું બેસી ગયું છે.રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે,નૈઋત્ય ચોમાસું આગળ વધે તેવી બે સિસ્ટમ સક્રિય થઇ ચૂકી છે.જેની અસરને કારણે જ બે દિવસથી કેટલાક ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે.આગામી બે દિવસ વીજળીના કડાકાં સાથે સામાન્ય વરસાદની આગાહી છે.પછીના બે દિવસ વરસાદ ઓછો થઇ જશે.આ સાથે આવતા સપ્તાહમાં સારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે,હાલ ગુજરાતમાં સુરત સુધી નૈઋત્ય ચોમાસું આવી ગયું છે.ત્યાંથી આગળ જવા માટે થોડો સમય લાગશે.બુધવારે વીજળી એને કડાકા ભડાકાં સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ રહેશે.
ખાસ કરી અમદાવાદ,વડોદરા,ગાંધીનગર,ભાવનગર,પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથ,ભરૂચ,સુરત,નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં 40 કિ.મી.ઝડપ સુધી પવન ફૂંકાવા સાથે વરસાદની વકી છે. ભારે વરસાદની શક્યતા નથી.હાલ સર્જાયેલી સિસ્ટમને કારણે પછીના સપ્તાહમાં સારો વરસાદ થવાની શક્યતા છે.નોંધનીય છે કે,સમયસર ચોમાસું આવી પહોંચતા વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.