નવી િદલ્હી : ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કાનપુર અને પ્રયાગરાજમાં ગેરકાયદેસર બાંધકામોને પાલિકા દ્વારા નિયમોનુસાર તોડી પાડવામાં આવ્યા હતા અને પયગંબર મોહમ્મદ વિશેની ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ દ્વારા ટિપ્પણીને પગલે હિંસક વિરોધમાં સામેલ આરોપીઓની દંડિત કરવા સાથે કોઈ લેવા દેવા નથી.
મુસ્લિમ સંસ્થા જમીયત ઉલામા-એ-હિંદ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ હેઠળ દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અંગેે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અરજીઓમાં જે ડિમોલિશનનો ઉલ્લેખ કરાયો છે તે સ્થાનિક વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને તે રાજ્ય વહીવટથી સ્વતંત્ર વૈધાનિક સ્વાયત્ત સંસ્થાઓ છે.તેણે વધુમાં જણાવ્યું હતું કે કરવામાં આવેલી આ કાર્યવાહી ઉત્તર પ્રદેશ અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ,1972 અનુસાર અને અનધિકૃત અને ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણ સામેના તેમના નિયમિત પ્રયાસોના ભાગરૂપે છે.
સોગંદનામામાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે,“જ્યાં સુધી આરોપી તોફાનીઓ વિરુદ્ધ કાર્યવાહીનો સંબંધ છે,રાજ્ય સરકાર તેમની સામે CrPC,ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર અને અસામાજિક પ્રવૃત્તિ(નિવારણ)અધિનિયમ, 1986 અને નિયમો 2021,ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તથા ઉત્તર પ્રદેશ રીકવરી ઓફ ડેમેજીસ ટુ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી ઓર્ડિનન્સ,2020 જેવા વિવિધ કાયદાઓ મુજબ કડક પગલાં લઈ રહી છે.”એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાનપુરમાં બે બિલ્ડરોએ પણ ગેરકાયદે બાંધકામની કબૂલાત કરી છે.