– પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટબોલર શોએબ અખ્તરે કહ્યું, બાબર આઝમે ઓપનિંગમાં ન આવવું જોઈએ
નવી દિલ્હી, તા. 29 ઓગષ્ટ 2022, સોમવાર : એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાનનો આકરો પરાજય થયો છે.આ સાથે જ પાકિસ્તાનના રાજકારણમાં પણ ખળભળાટ મચ્યો છે અને નેતાઓએ ક્રિકેટમાં મળેલી હાર મામલે નિવેદનોનો મારો શરૂ કરી દીધો છે.ત્યારે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હુસૈને તો વર્તમાન પાકિસ્તાન સરકારને જ મનહૂસ ગણાવી દીધી છે.
રવિવારે પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં પોતાની પહેલી મેચ માટે ભારત સામે મેદાનમાં ઉતરી હતી.જોકે પાકિસ્તાનની ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.આ માટે પાકિસ્તાની ટીમ પર ખૂબ જ પ્રહારો થઈ રહ્યા છે.
સરકારને જ મનહૂસ ગણાવી
પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીના કહેવા પ્રમાણે પાકિસ્તાની ટીમનો કોઈ વાંક નથી.હાર માટે પાકિસ્તાન સરકાર જ જવાબદાર છે.તે મનહૂસ, અપશુકનિયાળ છે.આ કારણે જ પાકિસ્તાનની ટીમે હારનો સામનો કરવો પડ્યો.તેમણે ટ્વિટરના માધ્યમથી આ વાત શેર કરી હતી.
પાકિસ્તાન તેહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ) નેતા ફવાદે ઉર્દુમાં લખ્યું હતું કે, ‘આમાં ટીમનો વાંક નથી.આયાતી સરકાર જ મનહૂસ છે.’ આ સાથે જ તેમણે #indiavspakistan પણ લખ્યું હતું.
ફવાદ ચૌધરી ઈમરાન ખાનની સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રી પદે હતા પરંતુ હાલ પાકિસ્તાનમાં શહબાજ શરીફ વડાપ્રધાન પદની ખુરશી સંભાળી રહ્યા છે.
બાબરે ઓપનિંગમાં ન આવવું જોઈએ..
ફવાદ ચૌધરી ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટબોલર શોએબ અખ્તરે પણ રોમાંચક મેચની પ્રશંસા કરી હતી.તેમણે પાકિસ્તાની બોલર્સની પ્રશંસા કરી હતી. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં પાકિસ્તાનની બેટિંગની ટીકા કરી હતી.ખાસ કરીને એમ કહ્યું હતું કે, બાબર આઝમે ઓપનિંગમાં ન આવવું જોઈએ.તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, પાકિસ્તાની બોલર્સે શાનદાર ફાઈટબેક આપ્યું.અંતમાં ભારતીય ટીમે જોરદાર કમબેક કર્યું. શાનદાર મેચ રહી.