ગાંધીનગર : ભાજપ છેલ્લા ઘણા સમયથી પેજ સમિતિ પૂર્ણ કરવા પર જોર આપી રહ્યું છે.કેટલા પેજ બન્યા છે અને કેટલા પેજની હજી જરૂરિયાત છે અને ચૂંટણી માટે કેમ બીજેપી પેજ સમિતિ પર નિર્ભર છે? ભાજપ પોતાના ટાર્ગેટ 150 પ્લસ પૂરો કરવા કયા ગણિત સાથે આગળ વધી રહ્યો છે?બીજેપી આમ તો 182 સીટ જીતનો દાવો કરે છે તો બીજી તરફ બીજેપી આંતરિક રીતે લક્ષ 150 સીટ જીતવાનો રાખેલો છે.
આમ તો બીજેપી વિકાસ અને હિન્દુત્વના એજન્ડા પર આગળ ચાલી રહી છે, પરંતુ મોંઘવારીનો મુદ્દો હોય કે લોકોમાં સરકાર સામે નોકરીને લઈને અસંતોષ હોય, આવા અનેક મુદ્દે નારાજગી છે.પણ પ્રદેશ બીજેપી પીએમ મોદીના ફેસ પર જ ચૂંટણી લડવાનો અને જીતવાનો મદાર રાખે છે.આ વખતે ઘરે ઘરે પહોંચી મત મેળવવા કવાયત આરંભી છે અને તેના માટે રામબાણ ઈલાજ સમાન હથિયાર પેજ સમિતિ છે.તેના દ્વારા મત મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.તો બીજી તરફ બીજેપી કોઈપણ ચૂંટણી હોય ચોક્કસ ગણિત સાથે આગળ ચાલે છે. 2017 દરમિયાન બીજેપીને માત્ર 99 સીટ મળી હતી અને હવે 150 સીટ જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ બીજેપી વૉટનું ગણિત પણ લગાવી રહ્યું છે.શું છે તેમનું વોટ ગણિત અને તેમાં કેવી રીતે પેજ સમિતિ રામબાણ સાબિત થઈ શકે છે.
પહેલા વર્ષ 2017ની ચૂંટણી પર નજર કરીએ તો એ ચૂંટણી સમયે કુલ મતદારો 4.31 કરોડ હતા.જેમાંથી 3 કરોડ આસપાસ મતદાન થયું હતું. એ 3 કરોડ મતદારોમાંથી બીજેપીને 1.47 કરોડ જેટલા મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસને 1.42 કરોડ મત મળ્યા હતા. આવા સંજોગોમાં બીજેપી 99 પર આવીને ઊભી રહી ગઈ હતી.હવે નજર કરીએ 2019 લોકસભા ચૂંટણી પર તો ત્યારે કુલ મતદારો હતા 4.45 કરોડ, જેમાંથી બીજેપીને મળ્યા હતા 1.5 કરોડ તો સામે કોંગ્રેસને મળ્યા હતા 1.27 કરોડ, જ્યારે બીજા વોટ અન્ય પાર્ટીને મળ્યા હતા.જેથી કોંગ્રેસની તમામ સીટ પર હાર થઈ હતી.
હવે આગામી ચૂંટણીમાં બીજેપીને 150 સીટ જોઈએ છે.જો 150 સીટ જોતી હોય તો કેટલા વોટ બીજેપીને મળવા જોઈએ? આ સવાલ થાય એ સ્વભાવિક છે તો એ પણ સમજીએ…
હવે જો 1.50 કરોડ વોટ જ મળે તો ગયા વખત જેવી જ સ્થિતિ બીજેપીની થઈ શકે છે.જો તેમાં સુધારો લાવવો હોય તો બીજેપી તરફે મતદાન વધારે થાય સાથે જ લોકો મતદાન કરવા બહાર નીકળે એ જરૂરી છે અને બીજેપીએ આગામી ચૂંટણી માટે ઓછામાં ઓછું 2.5 કરોડ મતદાન થાય તેનો ટાર્ગેટ રાખેલો છે.તેમાં સૌથી મહત્વની ભૂમિકા પેજ સમિતિ સભ્યો નિભાવશે.બીજેપીનો 78 લાખ પેજ સમિતિ સભ્યોનો ટાર્ગેટ છે.જેમાં 75 લાખ પેજ સમિતિ સભ્યો બની ગયેલા છે.જેમાં બીજેપીએ 1 ઘરમાંથી એક જ સભ્યની નિમણૂક કરેલી છે. એટલે કે સીધા જ 75 લાખ પરિવાર સાથે પાર્ટી જોડાયેલી છે. દરેક ઘરમાંથી અંદાજે 3 લોકો મત આપે તો પણ 2.25 કરોડ જેટલું મતદાન બીજેપી તરફે થાય.
બીજેપીનું સીધું ગણિત છે કે, જો 1.50 કરોડ મત મળે તો 99 કે 100 જેટલી સીટ પર પાર્ટી ઊભી રહી જાય પરંતુ તેની સામે જો બીજેપીને 30થી 45 લાખ જેટલા વોટ વધારે મળે તો બીજી 50 સીટ આસાનીથી જીતી શકાય.આ ગણિત સાથે બીજેપી ચૂંટણી મેદાનમાં ચાલી રહી છે.જેમાં પેજ સમિતિ સભ્યોનું મોટું યોગદાન હશે.
હાલના સંજોગો મુજબ, બીજેપીને અનેક મોરચે વિરોધનો સામનો કરવો પડે છે.જેના કારણે અનેક મતદારો વિમુખ થવાનો પણ ભય છે.જેથી જ પેજ સમિતિ સભ્યો સરકારી યોજનાઓ પણ લોકો સુધી પહોંચાડવી અને જરૂર પડે એ યોજનાનો લાભ અપાવવાની કામગીરી પણ પેજ સમિતિ સભ્યોને સોંપવામાં આવી છે.જેથી લોકોનો ઝુકાવ બીજેપી તરફ રહે.એવામાં હવે પેજ સમિતિ સભ્યો પોતાના પેજમાં રહેલા 30 મતદારો પર ફોક્સ કરી રહ્યા છે અને સરકારી યોજનાઓ પહોંચાડી રહ્યા છે.
આ મતદારો વધારવા માટે ગ્રામીણ એસસી અને એસટી મતદારોનું મતદાન બીજેપી તરફે થાય તો ચોક્કસ મતની ટકાવારીમાં વધારો થાય.જેને લઈને બીજેપી આ વિસ્તારમાં વધારે મહેનત કરી રહી છે.સાથે જ યુવા મોરચાને પણ નવા મતદારોને જોડવા સૂચના આપવામાં આવી છે.


