– કોરોનાના કારણે બંધ રહેલું માંસ-માછલીનું બજાર ખૂલ્યું
બેઈજિંગ,
કોરોના વાયરસને કાબુમાં લઈ લીધો હોવાનો દાવો ચીને શરૂ કર્યો છે. લોકડાઉનની સ્થિતિ સદંતર હળવી કરી દેવામાં આવી છે. એ દરમિયાન લોકોએ સસલાં-બતકાં અને ચામાચીડિયાને કાપીને કોરોના વાયરસ સામે જીત મેળવ્યાની ઉજવણી કરી હતી.
ચીનમાં લોકોએ સસલાં-બતક કાપીને કોરોના વાયરસ સામે જીત મેળવ્યાની ઉજવણી કરી!
કોરોનાની મહામારી સામે વિશ્વ ઝઝૂમી રહ્યું છે. ચીનમાંથી ફેલાયેલી આ બીમારી હજુય હાહાકાર મચાવી રહી છે ત્યારે ચીને આ રોગ ઉપર કાબુ મેળવી લીધો હોવાનો દાવો કર્યો છે. ચીનમાં લગભગ ૩૩૦૦ લોકોનાં મોત થયા હતા, પરંતુ હવે નવા દર્દીઓની સંખ્યા નગણ્ય હોવાનું કહીને ચીને લોકડાઉનની સ્થિતિ પણ હળવી કરી દીધી છે. તમામ હાઈ-વે ખોલી નાખવામાં આવ્યા છે અને કોરોનાથી પ્રભાવિત થયેલા શહેરોમાં પણ હવે રાબેતા મુજબ જનજીવન થાળે પડી રહ્યું છે. એ દરમિયાન લોકોએ કોરોના સામે જંગ જીતી ગયા હોવાની ખુશીમાં ચામાચીડિયા, સસલાં અને બતકોને કાપીને જ્યાફત ઉડાવી હતી.
સસલાં, બતક અને ચામાચીડિયાના ખુનથી ચીનમાં દીવાલો રંગાઈ ગઈ હતી. ચીની નાગરિકોએ આ સજીવોને મારીને માંસ આરોગ્યું હતું અને એ રીતે કોરોનાના કેર વિરૂદ્ધ ઉજવણી કરી હતી. કોરોના વાયરસ ચામાચીડિયામાંથી આવ્યો હોવાની વ્યાપક થીયરી છે. ચીની સરકારે કોરોના સામે લડતના ભાગરૂપે ચામાચીડિયાના માંસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો, પરંતુ લોકડાઉન હળવું થતાં ફરીથી ચામાચીડિયાનું વેંચાણ ધમધોકાળ શરૂ થયું હતું.
માંસ-મચ્છીની એક માર્કેટમાંથી જ કોરોના વાયરસ માનવીના શરીરમાં ઘૂસ્યો હતો એ જાણવા છતાં ફરીથી ચીનમાં માંસ-મચ્છીની બજારો ખુલી ગઈ છે. અહેવાલો પ્રમાણે લોકોએ કોરોના ઉપર કાબુ મેળવ્યાની ઉજવણીમાં એટલા સજીવોને મારીને તેનું માંસ આરોગ્યું કે બધે જ મરેલા સજીવોના અવશેષો જ જોવા મળ્યા હતા. અહેવાલો પ્રમાણે દક્ષિણ-પશ્વિમ ચીનના ગૂડલીન વિસ્તારમાં લોકો માંસ અને જીવતા સજીવો ખરીદવા ઉમટી પડયા હતા. એમાં ચામાચીડિયાનો પણ સમાવેશ થતો હતો. દાવો તો ત્યાં સુધી થયો હતો કે સરકાર જ લોકોને બજારમાં જઈને માંસ-મચ્છી-સજીવો ખરીદવા પ્રોત્સાહન આપી રહી છે. એ પાછળ એવો તર્ક અપાઈ રહ્યો છે કે લોકોની ખરીદ શક્તિ વધશે તો અર્થતંત્રને વેગ મળશે. અર્થતંત્રને તેજ કરવાના બહાને ફરીથી ચીનમાં ખતરનાક સ્થિતિનું નિર્માણ થયું છે.