સુરત : ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ અને આપ વચ્ચે રાજકીય ધમાસાણ જોવા મળી રહ્યું છે.સુરત પૂર્વ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા આમ આદમી પાર્ટી ભાજપ પર આકરા પ્રહાર કરી રહી છે.એવામાં આપના ઉમેદવાર કંચન જરીવાલા સામે આવ્યા છે અને તેમણે પોતાનું નિવેદન આપ્યું છે.
હકીકતમાં કંચન જરીવાલાએ 14 નવેમ્બરે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.જો કે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે, ભાજપના ગુંડાઓએ સુરત પૂર્વથી અમારા ધારાસભ્યના ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ કરી લીધુ છે.જો કે આજે કંચન જરીવાલાએ વીડિયો સંદેશ શેર કરીને પોતાની ઉમેદવારી પરત ખેંચવા અંગે મોટો ખુલાસો કર્યો છે.જેમાં આમ આદમી પાર્ટીએ લગાવેલા તમામ આરોપોનું ખંડન કરતાં કંચન જરીવાલાએ જણાવ્યું કે, મેં કોઈના દબાણવશ થઈને મારી ઉમેદવારી પરત નથી ખેંચી.
વધુમાં તેમણે જણાવ્યું કે, મેં ઉમેદવારી નોંધાવ્યા બાદ સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર પ્રચાર શરૂ કરી દીધો હતો.જો કે મારા વિસ્તારના નાગરિકો દ્વારા મને રાષ્ટ્ર વિરોધી અને ગુજરાત વિરોધી કહેવામાં આવતુ હતુ.મેં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવતા સ્થાનિકોએ મને સમર્થન નહીં આપવાનું જણાવ્યું હતુ.જેના કારણે મારો અંતરાત્મા કકળી ઉઠ્યો હતો.આથી મેં મારા અંતરાત્માના અવાજને અનુસરીને રાષ્ટ્ર વિરોધી અને ગુજરાત વિરોધી પાર્ટીમાંથી ચૂંટણી ના લડવાનું મન બનાવી લીધુ છે.