– ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા
– આજે મહારાષ્ટ્ર,મણિપુર અને હિમાચલપ્રદેશમાં હળવા ભૂકંપના આંચકા
અમદાવાદ, તા.10 ડિસેમ્બર-2022, શનિવાર : આજે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે.ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી.ભૂકંપ આજે બપોરે 4.27 વાગે આવ્યો હતો.
મહારાષ્ટ્ર,મણિપુર,હિમાચલમાં પણ ભૂકંપ
ઉલ્લેખનિય છે કે, આજે મહારાષ્ટ્ર,મણિપુર અને હિમાચલપ્રદેશમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.માત્ર 33 મિનિટની અંદર 3 રાજ્યોની ધરતી ધણધણી ઉઠી હતી.સૌ પહેલા મણિપુરના ચંદેલમાં,ત્યારબાદ હિમાચલ પ્રદેશના ચંબામાં અને પછી મહારાષ્ટ્રના નાંદેડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ચંદેલમાં 3.1, ચંબામાં 2.8 અને નાંદેડમાં 3.0 ભૂકંપની તિર્વતા માપવામાં આવી હતી.જોકે આ ભુકંપોના કારણે કોઈ રાજ્યમાં જાનહાનિ ન સર્જાયા તંત્રએ રાહત અનુભવી હતી.
બે દિવસ પહેલા ઇન્ડોનેશિયામાં આવ્યો હતો ભુકંપ
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને મેઈન આઈલેન્ડ જાવામાં ગુરૂવારે ભૂકંપના ઝટકા આવ્યા હતાં.છેલ્લા ૧૭ દિવસમાં ત્રીજી વખત આવેલા ભૂકંપના ઝટકાથી ઇન્ડોનેશિયામાં ભયનો માહોલ સર્જાયો હતો.આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૫.૮ માપવામાં આવી હતી.
5મી ડિસેમ્બરે વલસાડમાં આવ્યો હતો ભુકંપ
વલસાડમાં 1 ડિસેમ્બરે રિએક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા બાદ 5મી ડિસેમ્બરે કચ્છના ખાવડાથી 28 કિ.મી. ઉત્તરે સવારે 4.17 વાગ્યે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો.કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે અને ત્યાં અવારનવાર ભૂકંપ આવતા હોય છે પરંતુ, 5મીએ આવેલો ભૂકંપ જમીનથી માત્ર 5.9 કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો.