– વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી હારેલા અને જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલના સ્થાને સતિષ પટેલની કરાઈ નિમણૂક
અમદાવાદ, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે,ત્યારે ભાજપના સંગઠનમાં ફેરફાર થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.વડોદરા જિલ્લા ભાજપ અને ખેડા જિલ્લા ભાજપનુ સંગઠન વિખેરાયું હોવાનું સામે આવતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગણતરીના કલાકોમાં જ મોટી કામગીરી આરંભી છે.દરમિયાન વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ અને ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે રાજીનામું આપી દેવાયાના ગણતરીના કલાકોમાં જ સી.આર.પાટીલે તુરંત બે નવા પક્ષ પ્રમુખોની નિમણૂક કરી દીધી છે.
સી.આર.પાટીલે બે નવા જિલ્લા પ્રમુખોની કરી નિમણૂક
ગુજરાત ભાજપે તેમના ટ્વિટર હેન્ડર પર નવા પ્રમુખોની યાદી જાહેર કરી છે, તેમાં વડોદરા જિલ્લામાં ભાજપા પ્રમુખ તરીકે સતિષભાઈ મોતીભાઈ પટેલ (નિશાળીયા)ની નિમણૂક કરી છે. તો ખેડા જિલ્લામાં ભાજપા પ્રમુખ તરીકે અજયભાઈ ભુપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટની નિમણૂક પર સી.આર.પાટીલે મહોર મારી દીધી છે.
સી.આર.પાટીલે વડોદરા અને ખેડા જિલ્લાના પ્રમુખોનું સ્વિકાર્યું રાજીનામું
ઉલ્લેખનિય છે કે, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન કોયલીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને રાજીનામું સોંપ્યું હતું.તેમણે અંગત કારણોસર જવાબદારી સાંભળવા પ્રતિકૂળતા દર્શાવી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું,તો ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ અશ્વિન કોટવાલે પણ પાટીલને રાજીનામું આપતા બંનેનું રાજીનામું સી.આર.પાટીલે સ્વિકારી લીધું હતું.આ દરમિયાન સી.આર.પાટીલે તુરંત બંને જિલ્લામાં ગણતરીના કલાકોમાં બે નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક પણ કરી દીધી છે.
અશ્વિન પટેલ વાઘોડિયાની ચૂંટણી હાર્યા હતા
વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હોવાની ચર્ચાને સત્તાવાર સમર્થન મળ્યું છે.વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલ વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.તો બીજી તરફ વડોદરા જિલ્લા ભાજપમાં કેટલાક સમયથી ધારાસભ્યો આક્રમક બની આંદોલન કરી રહ્યા હોવાથી નવો વિવાદ સર્જાયો છે.