
– આ મામલે તપાસ કરવા સમિતિની રચના માટે ચુકાદો અનામત રાખ્યો
– તાજેતરની અરજી એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરાઈ હતી
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર : સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડેનબર્ગ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજી ફગાવતા કહ્યું કે મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી ન શકાય.કોર્ટે કહ્યું કે આ મામલાની તપાસ કરવા માટે અમે સમિતિની રચના અંગે નિર્ણય અનામત રાખ્યો છે અને આ મામલે ટૂંક સમયમાં ચુકાદો આપીશું.આ અરજી એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી હતી.
આ મામલે કુલ 4થી વધુ અરજી કરાઈ
અદાણી-હિંડેનબર્ગ મામલે અત્યાર સુધી 4 પીઆઈએલ ફાઈલ કરાઈ છે.એટવોકેટ એમ.એલ. શર્મા,વિશાલ તિવારી,કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સામાજિક કાર્યકર મુકેશ કુમાર મારફતે આ અરજીઓ કરવામાં આવી હતી.આ મામલે પહેલી સુનાવણી સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હા તથા જસ્ટિસ જે.બી. પારડીવાલાએ 10 ફેબ્રુઆરીએ કરી હતી.
અરજીઓમાં કરાઈ વિવિધ માગ
તાજેતરની અરજીમાં મનોહર લાલ શર્માએ ભારતમાં હિંડેનબર્ગ રિસર્ચના સંસ્થાપક નાથન એન્ડરસન અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ અને એફઆઈઆર નોંધવાની માંગણી કરી હતી.તેની સાથે આ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરાઈ હતી.જ્યારે વિશાલ તિવારીએ સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં એક સમિતિની રચના કરીને હિંડેનબર્ગના રિપોર્ટની તપાસની માંગ કરી હતી.
જયા ઠાકુરે એલઆઈસી અને એસબીઆઈની ભૂમિકા સામે સવાલો ઊઠાવ્યાં
જયા ઠાકુરે આ મામલે એલઆઈસી અને એસબીઆઈની ભૂમિકા સામે સવાલો ઊઠાવતા શંકા વ્યક્ત કરી હતી.તેમણે અદાણી એન્ટરપ્રાઈઝમાં જાહેર નાણાંનું જંગી રોકાણ કરવામાં LIC અને SBIની ભૂમિકાની તપાસની માંગણી કરી હતી.જ્યારે મુકેશ કુમારે પોતાની અરજીમાં સેબી અને ઈડી તથા આવકવેરા વિભાગ,ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ પાસે તપાસ કરાવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે.મુકેશ કુમારે આ અરજી પોતાના વકીલો રૂપેશ સિંહ ભદૌરિયા અને મહેશ પ્રવીર સહાય દ્વારા દાખલ કરી છે.