દુનિયાભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ભારતમાં અત્યાર સુધી 2 હજારથી વધારે કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને આ બીમારીથી 157 લોકો ઠીક થઈ ગયા છે. તો અત્યાર સુધી 57 લોકોનાં જીવ ગયા છે. કોરોનાનાં કારણે ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે અને આ કારણે દેશને ઘણું બધું નુકસાન પણ થશે. જો કે કોરોના સામે જીતવાનો આ એક સૌથી કામગાર રસ્તો છે.
25 દેશોને કરવામાં આવશે મદદ
વર્લ્ડ બેંકે ગુરુવારનાં ભારતને કોરોના વાયરસની લડાઈમાં એક અબજ ડૉલરની ઇમરજન્સી નાણાકીય સહાયતા માટે મંજૂરી આપી છે. વર્લ્ડ બેંકની સહાયતા યોજનાઓનાં 1.9 અબજ ડૉલરનાં પહેલા સેટમાં 25 દેશોની મદદ કરવામાં આવશે અને 40થી વધારે દેશોમાં ત્વરિત ગતિથી નવા અભિયાન આગળ વધારવામાં આવી રહ્યા છે.
ભારતને સહાય આપવા પર વર્લ્ડ બેંકે શું કહ્યું?
કટોકટી નાણાકીય સહાયતાનો સૌથી મોટો ભાગ ભારતને આપવામાં આવશે જે એક અબજ ડૉલર (લગભગ 76 અબજ રૂપિયા)નો હશે. વર્લ્ડ બેંકનાં કાર્યકારી નિર્દેશકોનાં મંડળે દુનિયાભરનાં વિકાસશીલ દેશો માટે કટોકટી સહાયતાનાં પહેલા સેટને મંજૂર આપી દીધી ત્યારબાદ વર્લ્ડ બેંકે કહ્યું કે, “ભારતને એક અબજની ઇમરજન્સી સહાયતાથી સારી સ્ક્રીનિંગ, સંપર્કોની તપાસ કરવી, લેબોરેટરી સ્થાપિત કરવી, વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો ખરીદવા અને નવા આઇસોલેશન વૉર્ડ બનાવવામાં મદદ મળશે.”
પાકિસ્તાનને આપશે 20 કરોડ ડૉલર
દક્ષિણ એશિયામાં વર્લ્ડ બેંકે પાકિસ્તાન માટે 20 કરોડ ડૉલર, અફઘાનિસ્તાન માટે 10 કરોડ ડૉલર, માલદીવ માટે 73 લાખ ડૉલર અને શ્રીલંકા માટે 12.86 કરોડ ડૉલરની સહાયતાને મંજૂરી આપી છે. વર્લ્ડ બેંકે એ પણ કહ્યું કે તેણે વૈશ્વિક મહામારીનાં પ્રભાવને પહોંચી વળવામાં દેશોની મદદ કરવા માટે 15 મહિનાનાં હિસાબથી 160 અબજ ડૉલરની ઇરજન્સી સહાયતા જાહેર કરવાની યોજનાને મંજૂરી આપી.