બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાત એસટી નિગમ (GSRTC) દ્વારા તકેદારીના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છ જતી બસોને હાલ રદ્દ કરી દેવામાં આવી છે.આગામી 16 જૂન સુધી આ રુટની તમામ બસોને રદ્દ કરવામાં આવી છે.આશરે 350 જેટલી બસોની ટ્રીપને કેન્સલ કરાઈ છે.
ગુજરાત ST નિગમના સચિવ કે.ડી. દેસાઈના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના માથે હાલ બિપરજોય વાવાઝોડાનું સંકટ મંડળાઈ રહ્યું છે.જેથી દરિયાઈ વિસ્તારમાં આવતા તમામ ડિવિઝનના ડેપો મેનેજર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકો કરી અને સુચના આપવામાં આવી છે.દરિયાઈ વિસ્તારમાં આવતા જામનગર,અમરેલી,કચ્છ,જૂનાગઢ,રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં બસોના રૂટ ટૂંકાવાની તેમજ બસોની ટ્રીપ રદ કરવામાં આવી છે.મુસાફરોને મેસેજ મારફતે રિઝર્વેશનમાં સૌરાષ્ટ્ર તરફ જતી બસોને રદ કરવાની માહિતી આપવામાં આવી છે.આ ઉપરાંત ક્યાં સ્થળ સુધી બસ જશે તેની પણ જાણકારી આપવામાં આવી છે.
આ ઉપરાંત ડિઝલનો પૂરતો જથ્થો રાખવા માટે દરેક ડેપોને સૂચના આપવામાં આવી છે.દરિયાઈ વિસ્તારના ડિવિઝનના નજીકના ડેપો સુધી બસ જશે.દ્વારકા,ગાંધીધામ,ભૂજ,નલિયા,અમરેલી સહિતના ડિવિઝનમાં હોર્ડિંગ્સ ઉતારવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની અસર હાલ અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં જોવા મળી રહી છે.અમદાવાદ શહેરમાં ગઈકાલ રાતથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.તો આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.બીજી બાજુ રાજયના વેરાવળ અને સુત્રાપાડામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં આઠ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.તંત્ર દ્વારા દરિયા કિનારા પર 10 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યુ છે.
ઉપરાંત, પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનોને અસર પડશે જેથી મુસાફરોની સલામતી માટે 25 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.આ ટ્રેનો ઓખા અને પોરબંદરથી અન્ય રાજ્યો તેમજ શહેરોમાં જાય છે તે આ ત્રણ સ્ટેશન ઉપરથી ઉપડશે,તેઓ નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.