બાર્ક્લેઝે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ 1.7 ટકા ઘટાડીને 3.5 ટકા કર્યો
મુંબઈ
કોરોના વાયરસને કારણે ભારતને અંદાજે 120 અબજ ડોલર(અંદાજે ~9 લાખ કરોડ)નું જંગી નુકસાન થશે તેવો અંદાજ છે. આ રકમ ભારતના જીડીપીના 4 ટકા થાય છે. એનલિસ્ટ્સે આ અંદાજ આપવાની સાથે ભારતના ગ્રોથનો અંદાજ ખાસ્સો ઘટાડી દીધો છે. સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જરૂરી છે તેમ પણ તેમણે કહ્યું હતું.
એનલિસ્ટ્સના મતે રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠક 3 એપ્રિલે યોજાશે, જેમાં વ્યાપક પ્રમાણમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે તેવી ધારણા છે. તેમણે કહ્યું કે ફિસ્કલ ડેફિસિટનો ટારગેટ જાળવી નહીં શકાય.
બ્રિટિશ બ્રોકરેજ બાર્ક્લેઝે તેની નોટમાં કહ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસને પગલે શટડાઉનને કારણે 120 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. તેણે 2020-21 માટે ગ્રોથનો અંદાજ 1.7 ટકા ઘટાડીને 3.5 ટકા કરી દીધો છે. માત્ર 21 દિવસના લોકડાઉનમાં જ 90 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ તેણે આપ્યો છે. તેણે કહ્યું કે આ અગાઉથી મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં તો લોકડાઉન ચાલુ જ હતું. તેના મતે RBI એપ્રિલમાં વ્યાજના દરમાં 0.65 ટકાનો ઘટાડો કરશે તેવી ધારણા છે. આ ઉપરાંત આગામી એક વર્ષમાં વધુ 1 ટકા વ્યાજદર ઘટશે તેવી સંભાવના છે.
સ્થાનિક બ્રોકરેજ એમ્કેએ કહ્યું હતું કે લોકડાઉનનો જે નિર્ણય લેવાયો છે તે અભિનંદનને પાત્ર છે. અન્ય દેશો કરતાં વહેલી તકે આ નિર્ણય લેવાયો છે. જોકે આર્થિક અસર થશે તેની સામે કોઈ પગલાં લેવાયા નથી તે અફસોસજનક બાબત છે. તેના મતે ભારત સરકાર લોકડાઉનને કારણે થનારી આર્થિક અસર સામે હજી સુધી મૌન જ રહી છે. તેણે ચેતવતા કહ્યું કે બિનસંગઠિત ક્ષેત્ર અત્યાર સુધી નોટબંધી અને જીએસટીની અસરમાં જ પીસાતું હતું તેને લોકડાઉનને કારણે વધારે અસર થશે. તેણે સૂચવ્યું કે નાના બિઝનેસ એકમોને સોફ્ટ લોન આપવી જોઈએ, લોન રિસ્ટ્રક્ચર કરવી જોઈએ અને આર્થિક પેકેજરૂપે કેશ ટ્રાન્સફર કરવી જોઈએ.