સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : : સુરત પોલીસે માનવતાની એક મિસાલ કાયમ કરી છે.પોલીસ લોકોની રક્ષા અને સુરક્ષા માટે હંમેશા તત્પર છે.આ વાતને સુરત પોલીસે ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે.સુરત પોલીસના એસીપી ઈશ્વર પરમાર એનજીઓ સાથે મળીને હાલમાં હાડ થીંજવતી ઠંડીમાં પોતે જાતે જઈ ફૂટપાથ પર રહેતા ઘર વિહોણા લોકોને સમજાવી તેઓને શેલ્ટર હોમમાં મોકલી રહ્યા છે.એસીપી પોતાની ટીમ સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને આવા ઘર વિહોણા શ્રમિક લોકોને સમજાવી શેલ્ટર હોમમાં આશરો અપાવી રહ્યા છે.એટલું જ નહી આગામી સમયમાં એસીપી આવા શ્રમિક લોકોને રોજગારી મળી રહે તે માટે અનોખુ આયોજન પણ કરવા જઈ રહ્યા છે.
પોતાનું વતન છોડી સુરત રોજગાર મેળવા આવેલા સેંકડો શ્રમિકો શિયાળો,ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય સિઝનમાં બ્રિજ નીચે કે જાહેર સ્થળો ફૂટપાથ પર આશરો લેતા જોવા મળે છે.શિયાળાને કારણે આવા લોકોને આશ્રય સ્થાન મળી શકતું નથી. ઠંડીમાં આખી રાત પસાર કરે છે ત્યારે આવા લોકોની મદદ માટે સુરત પોલીસ આગળ આવી છે.સુરત પોલીસ કંટ્રોલ રૂમના એસીપી અનુકુળ સમયે રાતે પોતાની ટીમ અને એનજીઓ સાથે અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને આવી રીતે રાતવાસો કરતા લોકોને સમજાવી તેઓનું રેસ્ક્યુ કરે છે અને તેઓને શેલ્ટરહોમમાં આશરો અપાવી રહ્યા છે.સુરત સિટી કંટ્રોલરૂમના એસીપી ઈશ્વર પરમારે જુદા જુદા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી સામાજિક કાર્યકરોને સાથે રાખીને લોકોને રેસ્ક્યુ કર્યા છે.
સામાજિક કાર્યકરોની મદદથી રોડ ઉપર રહેતા લોકોને સમજાવવામાં આવ્યા હતા કે તેમને શેલ્ટર હોમમાં જરૂરી દરેક સુવિધા મળી શકે છે.જેને કારણે જાહેરમાં ન રહીને તેઓનું શેલ્ટર હોમમાં રહેવું સુરક્ષિત છે.લોકોનો પ્રતિસાદ પણ સારો મળ્યો છે.હાલ શિયાળાને કારણે આવા લોકોને આશ્રય સ્થાન મળી શકતું નથી અને આખી રાત આ રીતે વિતાવવી મુશ્કેલી ભરી હોવાથી રેલ્વે સ્ટેશન,સલાબતપુરા, મહીધરપુરા સહિત શહેરના અનેક વિસ્તારોમાંથી ઘણા લોકો શેલ્ટર હોમમાં રહેવા તૈયાર થયા છે.કમિટીની રચના કરાઈ છે, એસીપી નોડલ ઓફિસર છે
રાજ્યની તમામ 8 મહાનગર પાલિકા વિસ્તારમાં જાહેર સ્થળો પર ખુલ્લામાં રહેતા ઘર વિહોણા લોકો જે ખુલ્લી જગ્યાઓ જેવી કે ફૂટપાથ,બગીચા,બસ સ્ટેશન અને ધાર્મિક સ્થળો પર રાતવાસો કરીને જીવન વ્યતીત કરે છે.તેઓને આશ્રય,ભોજન તથા સરકારની વિવિધ યોજનો લાભ મળી રહે તે માટે રાજ્યની એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગર પાલિકા તેમજ જિલ્લા મુખ્ય મથકની 30 નગર પાલિકા અને 8 મહાનગર પાલિકામાં સીટી મિશન મેનેજમેન્ટ યુનિટની રચના કરવામાં આવી છે. સુરતમાં પણ આ કિમીટીની રચના કરવામાં આવી છે અને આ કમિટીમાં સુરત પોલીસ કમિશ્નર,કલેકટર,મનપા કમિશ્નર સહિતના અધિકારીઓ સભ્યો છે.સુરત પોલીસ કમિશ્નર દ્વારા નોડલ ઓફિસર તરીકે સુરત સિટી કંટ્રોલરૂમ એસીપી ઈશ્વર પરમારની નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરી છે.
પોતાની ટીમ સાથે અવાર-નવાર નાઈટ ડ્રાઈવ યોજે છે
સુરત સિટી કંટ્રોલરૂમ એસીપી ઈશ્વર પરમારની નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી છે.તેઓ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એનજીઓની ટીમ તથા એનજીઓના સભ્ય તરુણ મિશ્રા,જીગરભાઈ અને વિશ્વાસ ચેરીટેબલ ટ્રસ્ટ વેગેરે એનજીઓની ટીમ સાથે અલગ અલગ વિસ્તારમાં ફરે છે.બગીચા,ગાર્ડન,ફૂટપાથ,ધાર્મિક સ્થળો વગેરે જગ્યાએ ફૂટપાથ રહીને જીવન ગળતા લોકોને સમજાવે છે.તેઓને સરકારની યોજનાની માહિતી આપે છે અને બાદમાં શેલ્ટર હોમમાં લઇ જઈ આશરો આપે છે.જ્યાં શ્રમિકોને રહેવા,ભોજન સહિતની સુવિધાઓ મળી રહી છે.
શ્રમિકોને રોજગારી પાડવાની પણ કામગીરી કરાઈ રહી છે : એસીપી ઈશ્વર પરમાર
એસીપી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી અમે આ પ્રકારે કામગીરી કરી રહ્યા છે પરંતુ હાલમાં ઠંડી ખુબ જ પડી રહી છે,જેથી અમે અમારી ટીમ સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીએ છીએ.આવા શ્રમિકોને સમજાવી તેઓનું રેક્સ્યું કરી શેલ્ટર હોમમાં આશરો લેવા માટે મોકલી દઈએ છીએ.તેમજ દરેક પોલીસ મથકના પીઆઈને પણ પોત પોતાના વિસ્તારમાં આ કામગીરી કરવા સુચના આપવામાં આવી છે.આ ઉપરાંત આગામી સમયમાં હું એનજીઓ સાથે જોડાઈને આવા લોકોને રોજગારી મળી શકે તે માટેના પ્રયાસો પણ કરવાનો છું,આગામી સમયમાં એનજીઓ સાથે જોડાઈને ગોબરના દીવા,અગરબતી,પવિત્ર કાર્યોમાં વપરાતું લાકડું બનાવવાનું,થેપલા અને ખાખરા બનાવવાનું અથવા શાકભાજીની હાથ લારીની યુનિટ પૂરું પાડવાનું કામ પણ કરવા જઈ રહ્યો છું.જેથી કરીને આવા લોકોને રોજગારી મળી શકે અને તેઓ પગભર થઈ શકે.અત્યાર સુધી 340થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું
ફૂટપાથ રહેતા ઘર વિહોણા લોકોને શેલ્ટર હોમમાં મોકલવાની આ કામગીરી માત્ર શિયાળા માં જ નથી થતી,આ કામગીરી વર્ષ 2022ના મેં મહિનાથી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં ફૂટપાથ,ધાર્મિક સ્થાનો,વેગેરે જગ્યાએ ઘર વિહોણા 340થી વધુ લોકોને સમજાવી તેઓને શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે.
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ શેલ્ટર હોમને પહોચાડવા અપીલ
અહીં આ લોકોના કાયમી વસવાટની વાત નથી.કારણ કે જે લોકો પગપર થઈ જાય છે તેઓ ભાડે રહેવા પણ જતા રહે છે,એટલે કે તેઓનું રિહેબિલિટેશન પણ થાય છે.એસીપી ઈશ્વર પરમારે લોકોને અપીલ કરી હતી.જે લોકોને મદદ કરવાની ઈચ્છા હોય તે દાતા તરીકે આગળ આવી મદદ કરી શકે છે.તેમ અહી રહેતા લોકોને રોજગારી મળી રહે તે માટે અહી રહેતા લોકોને રોજગારીની તક આપવા માટે લોકોને પણ અપીલ કરવામાં આવી હતી.સુરત શેલ્ટર હોમમાં રહેતા આશ્રીતો માટે કપડા,સ્વેટર, ધાબળા,વેગેરે જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ શેલ્ટર હોમને પહોંચાડવા માટે પણ મદદ કરવા અપીલ કરવામાં આવી છે.