NALSAR યુનિવર્સિટી વિવાદને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી.સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (BCI)ની ભૂમિકા પર સવાલ ઉઠાવતાં તેની દખલગીરીને બિનજરૂરી ગણાવી હતી.તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વિદ્યાર્થીઓને પોતાની વાત રજૂ કરવા અને વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કે. પરમેશ્વરે કોર્ટને જણાવ્યું હતું કે કોઈ યુનિવર્સિટીમાં શું થઈ રહ્યું છે તેની સાથે BCIને કોઈ સીધો સંબંધ નથી. આ અંગે CJI સૂર્યકાંતે કહ્યું હતું કે આ મુદ્દો વિદ્યાર્થીઓ અને કોર્ટ વચ્ચેના સંવાદનો છે અને તેમાં BCIની દખલગીરી જરૂરી નથી.
ખોટું નિવેદન આપ્યું હોય તો પણ વિરોધ કરવાનો અધિકાર રહે છે
CJI સૂર્યકાંતે પોતાના વિદ્યાર્થીકાળનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેઓ પણ વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા.તેમણે કહ્યું કે કોઈ વિદ્યાર્થીનું નિવેદન ખોટું હોય તો પણ તેને પોતાની વાત રજૂ કરવાનો અને વિરોધ કરવાનો અધિકાર છીનવી શકાય નહીં.CJIએ કહ્યું હતું કે યુવાનીમાં કોઈ વ્યક્તિ ખોટું નિવેદન આપી દે, તેનો અર્થ એવો નથી કે તેનો વિરોધ કરવાનો અધિકાર જ ખતમ થઈ જાય.આ મામલે સુપ્રીમ કોર્ટે BCIને નોટિસ પાઠવી છે અને બે સપ્તાહની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.જોકે, સુનાવણી દરમિયાન BCI તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે વિવાદિત સર્ક્યુલર પહેલેથી જ પરત ખેંચી લેવામાં આવ્યો છે.કોર્ટે વચગાળાનો આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે NALSAR અથવા કોઈ અન્ય નેશનલ લો યુનિવર્સિટી (NLU) કે લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સામે સંબંધિત ઘટનાઓને લઈને કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
શું છે NALSAR અને BCI વચ્ચેનો વિવાદ?
હૈદરાબાદ સ્થિત NALSAR યુનિવર્સિટી ઑફ લો અને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (BCI) વચ્ચેનો વિવાદ સામે આવ્યા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો.શરૂઆતમાં BCIએ NALSARના 2026 બેચના તમામ વિદ્યાર્થીઓની વકીલ તરીકે નોંધણી પર રોક લગાવવાનો આદેશ જારી કર્યો હતો.જોકે, આ આદેશ જારી થયાના થોડા જ કલાકોમાં BCIએ તેને પરત ખેંચી લીધો હતો.ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં શુક્રવારની સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે વિદ્યાર્થીઓના વિરોધના અધિકાર અને BCIની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.


