દેશમાં ખાંડના ભાવમાં તાજેતરના ઉછાળા બાદ હવે બજારમાં નરમાઈ જોવા મળી રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા પુરવઠો વધારવા અને સંગ્રહખોરી પર નિયંત્રણ લાવવા લેવામાં આવેલા પગલાંની અસર બજાર પર પડતી હોવાનું માનવામાં આવે છે.જોકે, ખાંડના ભાવમાં ઘટાડો તમામ વિસ્તારોમાં એકસમાન નથી અને આગામી દિવસોમાં બજારની સ્થિતિ પુરવઠા પર નિર્ભર રહેશે.મળતી માહિતી મુજબ, કેટલાક શહેરોના છૂટક બજારમાં છેલ્લા ચાર દિવસમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો આશરે ૮ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.મુંબઈમાં ભાવ રૂ.૬૮થી ઘટીને રૂ ૬૧, દિલ્હીમાં રૂ.૬૮થી રૂ. ૬૨, કાનપુરમાં રૂ.૬૯થી રૂ.૬૨ અને ગુવાહાટીમાં રૂ.૭૧થી ઘટીને રૂ.૬૩ પ્રતિ કિલો થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.હૈદરાબાદમાં ભાવ રૂ.૭૦થી ઘટીને રૂ.૬૨ અને ચેન્નાઈમાં રૂ.૭૦થી ઘટીને રૂ.૬૫ પ્રતિ કિલો નોંધાયા છે.
દક્ષિણ મહારાષ્ટ્રમાં કારખાના સ્તરે ખાંડના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.અગાઉ પ્રતિ કિલો રૂ.૬૨ની આસપાસ પહોંચેલા ભાવ હવે રૂ.૫૧થી રૂ.૫૨ની વચ્ચે હોવાના અહેવાલ છે.જોકે, કારખાના સ્તર અને છૂટક બજારના ભાવ વચ્ચેનો તફાવત હોવાથી આ ઘટાડો ગ્રાહકો સુધી સંપૂર્ણપણે પહોંચવામાં થોડો સમય લાગી શકે છે.જથ્થાબંધ બજારમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈમાં ખાંડનો જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૬,૭૫૦ની સપાટીએથી ઘટીને આશરે રૂ.૫,૮૦૦ થયો હોવાનું જણાવાયું છે.દિલ્હી અને કાનપુરના બજારમાં પણ પ્રતિ ક્વિન્ટલ આશરે રૂ.૬૦૦ સુધીનો ઘટાડો નોંધાયો છે.
સરકારના પગલાંથી પુરવઠો વધારવાનો પ્રયાસ
ખાંડના ભાવને નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધાં છે.સરકારે કાચી ખાંડની ૧૦ લાખ મેટ્રિક ટન સુધીની આયાતને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી શુલ્કમુક્ત કરવાની મંજૂરી આપી છે.આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશમાં ખાંડની ઉપલબ્ધતા વધારવાનો અને તહેવારો પહેલાં ભાવ પર દબાણ ઘટાડવાનો છે.આ ઉપરાંત ખાંડના વેપારીઓ માટે સંગ્રહ મર્યાદા લાગુ કરવામાં આવી છે.મોટા જથ્થામાં ખાંડ વાપરતા ગ્રાહકો માટે પણ સંગ્રહ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે જેથી સંગ્રહખોરી અને કૃત્રિમ અછત ઊભી કરવાની શક્યતા ઘટાડી શકાય.
ખાંડના ભાવ વધવાનું મુખ્ય કારણ શું હતું?
સરકારી આંકડા મુજબ, દેશભરમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ ૨૦ જુલાઈના રૂ. ૪૮.૧૮ પ્રતિ કિલોથી વધીને ૨૦ ઓગસ્ટે રૂ.૫૫.૭૦ પ્રતિ કિલો થયો હતો. એટલે કે લગભગ એક મહિનામાં આશરે ૧૬ ટકાનો વધારો નોંધાયો હતો.ત્યારબાદ સરકાર દ્વારા પુરવઠો વધારવા માટે આયાત સહિતના પગલાં લેવામાં આવ્યા છે.ખાંડના ભાવમાં થયેલા વધારા પાછળ ઓછું ઉત્પાદન, ઉપલબ્ધ જથ્થા અંગેની ચિંતા અને તહેવારો પહેલાં વધતી માંગ જેવા પરિબળો જવાબદાર હોવાનું સરકારી અને બજાર આધારિત અહેવાલોમાં જણાવાયું છે.સરકારના જણાવ્યા મુજબ, તાજેતરના ભાવવધારા માટે માત્ર ઇથેનોલ ઉત્પાદનને જવાબદાર ગણવું યોગ્ય નથી.
તહેવારો પહેલાં ભાવ સ્થિર રહેવાની અપેક્ષા
ભારતમાં આગામી તહેવારો દરમિયાન ખાંડની માંગ વધવાની સંભાવના છે.આવી સ્થિતિમાં સરકાર દ્વારા આયાત અને સંગ્રહ નિયંત્રણ જેવા પગલાં લેવામાં આવ્યા હોવાથી બજારમાં પુરવઠો જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.જોકે, શુલ્કમુક્ત આયાતથી તરત જ છૂટક બજારમાં ભાવ ઘટી જશે એવું માનવું યોગ્ય નથી.આયાત કરાયેલી ખાંડને દેશમાં પહોંચવામાં સમય લાગી શકે છે.તેથી આગામી દિવસોમાં સ્થાનિક જથ્થો,આયાતનો પુરવઠો અને તહેવારો દરમિયાનની માંગના આધારે ખાંડના ભાવની દિશા નક્કી થશે.આથી હાલમાં બજારમાં જોવા મળતી નરમાઈ ગ્રાહકો માટે સારા સંકેત સમાન છે, પરંતુ આગામી સપ્તાહોમાં ખાંડના ભાવમાં ઘટાડો કેટલો ટકાઉ રહે છે તે પુરવઠાની સ્થિતિ પર નિર્ભર રહેશે.


