સુરત, ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ : ડિંડોલી વિસ્તારમાં અપૂરતા દબાણ અને અનિયમિત પાણી પુરવઠાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના જળ વિભાગે પાણી વિતરણના સમયમાં કાયમી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે ડિંડોલી અને આસપાસના વિસ્તારોમાં ચાર અલગ તબક્કામાં પાણીનું વિતરણ કરવામાં આવશે.પાલિકા દ્વારા પાણી વિતરણના વિસ્તારોને અલગ-અલગ જૂથમાં વહેંચીને ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. નવા સમયપત્રકથી પાણીનું દબાણ સુધરવાની તેમજ અપૂરતા અને અનિયમિત પુરવઠાની ફરિયાદોમાં ઘટાડો થવાની શક્યતા છે.
સવારે ૫થી ૯ વાગ્યા સુધી
ડિંડોલી ગામતળ, મહાદેવ નગર, સાંઈ નગર, હરિદ્વાર, લક્ષ્મીનારાયણ, યોગેશ્વર પાર્ક અને રામી પાર્ક સહિતના વિસ્તારોમાં સવારે ૫થી ૯ વાગ્યા સુધી પાણી પુરવઠો કરવામાં આવશે.
સવારે ૯થી બપોરે ૧૨ વાગ્યા સુધી
ભક્તિનગર, રોયલ પેલેસ, શુભ વાટિકા, પ્રિયંકા સિટી, શિવદર્શન, ગાયત્રી નગર, ખોડિયાર નગર, શ્રદ્ધા સોસાયટી અને સુમુખ સર્કલ સહિતના વિસ્તારોમાં સવારે ૯થી બપોરે ૧૨ વાગ્યા સુધી પાણી મળશે.
બપોરે ૧૨થી સાંજે ૪ વાગ્યા સુધી
ઓમનગર, મિલેનિયમ પાર્ક, ઉમિયા બંગલો, અંબિકા નગર, મધુરમ સર્કલ, તિરુપતિ નગર, કૃષ્ણ કુંજ અને સરસ્વતી નગર સહિતના વિસ્તારોમાં બપોરે ૧૨થી સાંજે ૪ વાગ્યા સુધી પાણી વિતરણ કરવામાં આવશે.
સાંજે ૬થી રાત્રે ૧૦ વાગ્યા સુધી
માનસી રેસિડેન્સી, મોદી એસ્ટેટ, મોર્યા નગર, યોગેશ્વર પાર્ક, રાધાકૃષ્ણ, ગાંધીનગર, પ્રિયંકા સોસાયટી, ચેતન નગર અને ઢાકોર નગર સહિતના વિસ્તારોમાં સાંજે ૬થી રાત્રે ૧૦ વાગ્યા સુધી પાણી પુરવઠો કરવામાં આવશે.
પાલિકાના આ નિર્ણયથી ડિંડોલી વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી પાણી પુરવઠાની સમસ્યામાં રાહત મળવાની આશા છે. નાગરિકોને પોતાના વિસ્તાર માટે નક્કી કરાયેલા સમય પ્રમાણે પાણીનો સંગ્રહ અને ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.


