મહારાષ્ટ્ર લોકસેવા પંચની દવા નિરીક્ષક,જૂથ-બ ભરતી પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કૌભાંડમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ એમપીએસસી કર્મચારીઓ સહિત છ લોકોની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, ૨૪ વર્ષીય ગૌરવ ઉર્ફે લોકેશ પાટીલે પોતાની પ્રેમિકા રુતુજા માટે કથિત રીતે લીક થયેલું પ્રશ્નપત્ર મેળવ્યું હતું.બંને વચ્ચે સંબંધ તૂટ્યા બાદ ગૌરવે એમપીએસસી સમક્ષ પ્રશ્નપત્ર લીક થયાની ફરિયાદ કરી હતી.તપાસ આગળ વધતાં તે પોતે જ કથિત કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું પોલીસને જાણવા મળ્યું.
આ કેસમાં એમપીએસસીના અવર સચિવ અભિજિત લેંદવે,સહાયક વિભાગ અધિકારીઓ વિશ્વેશ્વર નકાટે અને ગોપાલ મારાઠે, નંદુરબારની કૌટિલ્ય કોચિંગ સંસ્થાના સંચાલક પ્રવીણ પાટીલ,શાળાશિક્ષક અમૃત નામદેવ પાટીલ અને ગૌરવ પાટીલની ધરપકડ કરવામાં આવી છે.ગૌરવની કથિત પ્રેમિકા રુતુજાને પોલીસે નોટિસ પાઠવી છે.
પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર મેળવ્યાનો આરોપ
પોલીસ તપાસ મુજબ, ૨૨ માર્ચે યોજાયેલી દવા નિરીક્ષકની ભરતી પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર બહાર પહોંચી ગયું હતું.તપાસમાં એવો આક્ષેપ છે કે નકાટે એમપીએસસી કચેરીમાંથી પ્રશ્નપત્ર મેળવ્યું અને તેને લેંદવે સુધી પહોંચાડ્યું હતું.ત્યારબાદ પ્રશ્નપત્ર મારાઠે મારફતે કૌટિલ્ય કોચિંગ સંસ્થાના સંચાલક પ્રવીણ પાટીલ સુધી પહોંચ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ, પ્રવીણ પાટીલે લીક થયેલું પ્રશ્નપત્ર અમૃત પાટીલને આપ્યું હતું.અમૃત પાટીલની પુત્રી રુતુજાએ આ પરીક્ષા આપી હતી.પોલીસના દાવા પ્રમાણે, લીક થયેલા પ્રશ્નસેટના ૭૭ પ્રશ્નો મૂળ પરીક્ષાના પ્રશ્નપત્રમાં આવેલા ૨૯૪ પ્રશ્નોમાંથી સમાન અથવા મળતા આવતા હતા.
રૂ.૫ લાખની લેવડદેવડનો દાવો
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે કે અમૃત પાટીલે પ્રશ્નપત્ર મેળવવા માટે પ્રવીણ પાટીલને રૂ.૫ લાખ ચૂકવ્યા હતા.સમગ્ર પ્રશ્નપત્ર માટે કુલ રૂ.૧૨ લાખની રકમ નક્કી કરવામાં આવી હોવાનો દાવો પણ સામે આવ્યો છે.જોકે, આ નાણાકીય વ્યવહાર અંગેની અંતિમ હકીકત પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.
પ્રેમસંબંધ તૂટ્યો અને ફરિયાદથી કૌભાંડ બહાર આવ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, રુતુજાએ પરીક્ષા પાસ કર્યા બાદ ગૌરવ સાથેના સંબંધોમાં તણાવ આવ્યો અને બંને વચ્ચે સંબંધ તૂટી ગયો.ત્યારબાદ ગૌરવે ૨૨ જુલાઈએ એમપીએસસીને ઈ-મેઇલ કરીને પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું હોવાની માહિતી આપી હતી.શરૂઆતમાં ગૌરવને ફરિયાદી અથવા માહિતી આપનાર વ્યક્તિ તરીકે જોવામાં આવ્યો હતો.પરંતુ તપાસ દરમિયાન પોલીસને તેની ભૂમિકા અંગે શંકા ગઈ. પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે તે પોતે પણ લીક થયેલા પ્રશ્નપત્ર સુધી પહોંચ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.
૪૪ હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
દવા નિરીક્ષકની આ ભરતી પરીક્ષા ૨૨ માર્ચે મહારાષ્ટ્રના છ વિભાગીય મુખ્ય મથકો પર યોજાઈ હતી.આ ભરતીમાં ખાદ્ય અને ઔષધ વહીવટ વિભાગની ૧૫૪ જૂથ-બ રાજપત્રિત જગ્યાઓ માટે આશરે ૪૪,૫૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.૧૨ જૂને પરિણામ જાહેર થયા બાદ ૫૦૬ ઉમેદવારોને મુલાકાત માટે પાત્ર જાહેર કરવામાં આવ્યા હતા.તેમાંથી ૪૮૮ ઉમેદવારોની મુલાકાત ૧થી ૨૨ જુલાઈ દરમિયાન લેવામાં આવી હતી.
એમપીએસસીએ ભરતી પ્રક્રિયા રદ કરી
પ્રશ્નપત્ર લીક અંગેની ફરિયાદો મળ્યા બાદ એમપીએસસીએ મુંબઈ પોલીસ પાસે તપાસની માંગ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં લીક થયું હોવાનું પ્રથમદર્શી રીતે સામે આવ્યા બાદ એમપીએસસીએ સમગ્ર દવા નિરીક્ષક ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે.હવે આ ભરતી માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે.અગાઉની પ્રક્રિયામાં પાત્ર ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની જરૂર રહેશે નહીં અને નવી પરીક્ષા માટે અલગથી પરીક્ષા ફી પણ લેવામાં આવશે નહીં.નવી પરીક્ષાની તારીખ અને અન્ય વિગતો એમપીએસસી દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે.
આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા મહારાષ્ટ્ર સ્પર્ધાત્મક પરીક્ષા ગેરરીતિ નિવારણ કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે.ધરપકડ કરાયેલા તમામ છ આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે


